કચ્છ જિલ્લાના લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠાના વિસ્તારો માટે તંત્રે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા લખપતથી લઈને કંડલા સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચેતવણી અને સમયગાળો: INCOIS અને NDEM ની આગાહી મુજબ, 21 જુલાઈ (સવારે 2:30 વાગ્યા) થી 22 જુલાઈ 2026 (રાત્રે 11:30 વાગ્યા) સુધી સમુદ્રમાં 3.2 થી 3.6 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.
માછીમારો અને પ્રવાસીઓ માટે ખાસ સૂચનાઓ:
હવામાન અને સમુદ્રી પરિસ્થિતિમાં અચાનક પલટો આવવાની સંભાવના હોવાથી સંબંધિત વિભાગો દ્વારા નીચે મુજબની તકેદારી રાખવા જણાવાયું છે:
માછીમારો અને બોટ સંચાલકો: દરિયામાં જતી નાની બોટો અને માછીમારીના વહાણોને દરિયામાં ન ખેડવા અને કિનારે સુરક્ષિત રાખવા જણાવાયું છે.
પ્રવાસીઓ અને સાહસિક પ્રવૃત્તિઓ: દરિયાકિનારે ફરવા આવતા પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે. વોટર સ્પોર્ટ્સ, બોટિંગ કે અન્ય મનોરંજક સાહસિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે
દરિયાકાંઠાના સ્થાનિક રહીશો: ઊંચા મોજાંના કારણે કિનારા પર પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે, જેથી સ્થાનિક લોકોને બિનજરૂરી દરિયાની નજીક અવરજવર ન કરવા સલાહ આપવામાં આવી છે.
બંદર અને જેટી કર્મચારીઓ: બંદર વિસ્તાર તથા જેટી નજીક કામ કરતા કર્મચારીઓને સુરક્ષાના તમામ નિયમોનું કડકપણે પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
તંત્રની સજ્જતા અને અપીલ
દરિયાઈ હવામાન સંબંધિત અહેવાલોમાં સમયાંતરે ફેરફાર થવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.સત્તાવાળાઓએ લોકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. કોઈપણ કટોકટી કે ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સંબંધિત સરકારી વિભાગનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.


